ખેરગામ કુમાર શાળા પી.એમ.શ્રી ખાતે ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા તેમજ ગણિત જેવા વિષયને રસપ્રદ અને સમજણસભર બનાવવા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત ખેરગામ કુમાર શાળા પી.એમ.શ્રી–ગુજરાત ખાતે તા. ૦૬-૦૧-૨૦૨૬, મંગળવારના રોજ એક ભવ્ય **‘ગણિત-વિજ્ઞાન પ્રદર્શન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંઘના હોદ્દેદારો, શિક્ષકો તેમજ ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામના ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલ તેમજ એસ.એમ.સી.ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આવા શૈક્ષણિક કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.
પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ (મોડેલ્સ) રહ્યું હતું. ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૭૦ જેટલી વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આ કૃતિઓમાં પર્યાવરણ જાગૃતિ, ગણિતના જટિલ કોયડાઓના સરળ ઉકેલો, સોલાર એનર્જી, જળ સંચય તેમજ આધુનિક ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનની મુલાકાત લેનારોએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સમજશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમની ઊંચી પ્રશંસા કરી હતી.





