કારગિલના મોરચાથી યુવાનોના ઘડતર સુધી કેપ્ટન શંકરભાઈ ગવળીની રાષ્ટ્રસેવા
વલસાડ, તા. 14 ઓગસ્ટ, 2026: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામના નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ચીમનભાઈ ગવળીની રાષ્ટ્રસેવાની પ્રેરણાદાયી સફર સામે આવી છે.
વર્ષ 1980માં આર્મીમાં જોડાયેલા શંકરભાઈએ 33.5 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી. સિક્કિમ સહિત વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવ્યા બાદ વર્ષ 1987માં શ્રીલંકા મિશન અને 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમણે પડકારજનક પરિસ્થિતિમાં ફરજ નિભાવી. કારગિલ દરમિયાનની સેવા બદલ તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2013માં કેપ્ટન પદેથી નિવૃત્ત થયા બાદ પણ તેમની રાષ્ટ્રસેવા અટકી નથી. દશેરાપાટી ખાતે મિલિટરી ટ્રેનિંગ એકેડેમી સાથે જોડાઈ તેઓ આદિવાસી વિસ્તારના યુવાનોને આર્મી, BSF, CISF, પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ભરતી માટે નિઃશુલ્ક તાલીમ આપી રહ્યા છે.
તેમની તાલીમ અને માર્ગદર્શનથી અત્યાર સુધીમાં 113 યુવાનો સરકારી સેવામાં જોડાઈ ચૂક્યા છે.
શંકરભાઈનું માનવું છે કે નવી પેઢીમાં દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવના મજબૂત થવી જોઈએ અને વધુને વધુ યુવાનો દેશસેવા માટે આગળ આવવા જોઈએ.
તેમની જીવનયાત્રા એ સંદેશ આપે છે કે સૈનિક સેવામાંથી નિવૃત્ત થઈ શકે, પરંતુ સાચા સૈનિકના હૃદયમાંથી દેશસેવાની ભાવના ક્યારેય નિવૃત્ત થતી નથી.
Post Courtesy: Jignesh Solanki, Info Valsad gog


