ઝલકારીબાઈ: એક વીર યોદ્ધા કે જે ઝાંસીની રાણી સાથે અંગ્રેજો સામે લડ્યાં.
ઝલકારીબાઈ ઝાંસીના ભોજલા ગામના હતા,એવું ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે. તે ગરીબ દલિત પરિવારમાંથી આવતા હતા. તેના બહાદુરીના ઘણાં કિસ્સાઓ છે. તેમનાં પર ઘણાં ગીતો રચાયા છે. આજે પણ બુદેલખંડમાં તેના પર લોકગીતો અને લોક કથાઓ કહેવામાં આવે છે. તેમણે બાળપણમાં કુહાડીથી એક જ ઘાએ વાઘને મારી નાખ્યો હતો.
એકવાર જ્યારે ગામમાં ડાકુઓએ વેપારીને ત્યાં ધાડ પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભગાડ્યા હતાં.
આસપાસના અનેક રાજા મહારાજાઓ અને સામંતોએ અંગેજો વિરુદ્ધ લડવા લક્ષ્મબાઇને લડવા મદદ નહોતી કરી. તે સમયે ઝલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈની નજીકની વ્યક્તિ બની ગઈ હતી. ઝલકારીબાઈ ક્યારેય લક્ષ્મીબાઈને મળ્યા નહોતા પરંતુ તેમની બહાદુરીની ઘણી વાતો સાંભળી હતી. એકવાર જ્યારે ઝલકારીબાઈ ગામની મહિલા સાથે ગૌરી પૂજા સમયે ઝંસીના કિલ્લા પર જાય છે ત્યારે ત્યાં લક્ષ્મીબાઈ મળે છે. ત્યાં ઉપસ્થિત હરકોઈ ઝલકારીબાઈની વીરતા, નીડરતા અને સાહસિકતાનાં વખાણ કરે છે, ત્યારે લક્ષ્મીબાઈ તેમને સૈન્યની મહિલાઓમાં સામેલ કરે છે. ત્યારબાદ તેમને તોપ ચલાવવાની અને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. કારણ કે તે સમયે અંગ્રેજો ઝાંસી પર આક્રમણ કરવાની તૈયારીમાં હતા.
તેમનાં લગ્ન ઝાંસીનાં સૈન્યમાં સૈનિક તરીકે ફરજ બજાવતા પૂરણસિંઘ સાથે થયા હતા. તે બહાદુર પહેલવાન હતા. લગ્ન પછી ઝાંસી આવ્યા અને તેમને મહિલા 'દુર્ગાદળ ' ના સેનાપતિ બનાવ્યા.
લોકોનું કહેવું છે કે ઝલકારીબાઈ હૂબહૂ લક્ષ્મીબાઈ જેવા દેખાતા હતા. એટલે કદાચ ઝાંસીનાં રાણીનો વેશ ધારણ કરી અંગ્રેજોને છેતરી શક્યા, અને પછી જે બન્યું તેનો ઇતિહાસ ગવાહ છે. ઘણી પેઢીઓ વીતી ગયા બાદ પણ ઝલકારીબાઈ દસ્તાવેજોમાં નહીં પરંતુ લોકોના દિલમાં વસ્યા છે.
સામાજિક અને રાજકીય ચેતના આવ્યા બાદ હાંસિયામાં ધકેલાયેલા લોકોએ આઝાદીની ચળવળમાં તેમનાં વારસાની દાવેદારી કરી.
ઝલકારીબાઈની પ્રેરણાની અસર આજે પણ જોઈ શકાય છે. ઠેર ઠેર લાગેલી તેમની પ્રતિમાઓ અને તેમનાં નામે ૨૦૦૧માં બહાર પાડેલી ટપાલ ટિકિટો તેનો પુરાવો છે.
ઝલકારીબાઈ દલિત સમાજ માટે ચેતના અને ગૌરવની બાબત છે.
ઝલકારીબાઈની જયંતી પર તેમને કોટી કોટી વંદન.