વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.

SB KHERGAM
0

 વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.

 ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા, નવસારી સંચાલિત શાળાની ઉપશિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ગંભીરસિંહ પઢિયારના નિવૃત્તિ નિમિત્તે વિદાય સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ તેમજ કુમાર શાળા ખેરગામના પૂર્વ કેન્દ્ર શિક્ષક શ્રી અરવિંદભાઈ પટેલ અને ઉદ્બોધક તરીકે નિવૃત શિક્ષક શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે સાથે શાળા પરિવાર, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ, સરપંચશ્રી, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.

શ્રીમતી પઢિયારે તેમની શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ તા. ૧૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ વલસાડ જિલ્લાના કેવાડા પ્રાથમિક શાળાથી કર્યો હતો, જ્યાં તેમણે લગભગ ૮ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. ત્યારબાદ તા. ૧૮ ડિસેમ્બર ૧૯૯૮થી વાવ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષિકા તરીકે કાર્યરત રહી શાળાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

તેમના કર્મનિષ્ઠ, ઉત્સાહી અને સ્નેહાળ સ્વભાવના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોમાં તેમણે વિશેષ આદર અને સ્થાન મેળવ્યું હતું. તેમના લાંબા અને સમર્પિત સેવાકાળ દરમિયાન શાળાની પ્રગતિમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે.

વિદાય પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આરોગ્યમય, દીર્ઘાયુષ્ય અને સુખમય જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top